યુવક-યુવતીને સી.એમ બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીએ કેનાલમાં કૂદીને બચાવી લીધા
આ છે ગુજરાત પોલીસ સત સત નમન

ગુજરાત પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી
*ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં છલાંગ લગાવનાર યુવક-યુવતીને સી.એમ બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીએ કેનાલમાં કૂદીને બચાવી લીધા*
*યુવક-યુવતીના જીવ બચાવી ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જઈ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું*
*ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એ.એસ.આઈ. વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા*
…..
ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબાથી ઈન્દિરાબ્રિજ માર્ગ પર નભોઈ કેનાલ પાસે બની હતી, જ્યાં એ.એસ.આઈ. શ્રી વિષ્ણુભાઈ નારણભાઈ મુખ્યમંત્રીશ્રીના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ દોઢ વાગ્યાના અરસામાં, તેમણે કેનાલમાં એક યુવક અને યુવતીને ઝંપલાવતા જોયા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, તેમણે તાત્કાલિક કેનાલમાં કૂદીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા અને સંયુક્ત પ્રયાસોથી બંનેને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા.
જીવ બચાવ્યા બાદ, બંને યુવક-યુવતીને ગાંધીનગર જિલ્લાના ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
એ.એસ.આઈ. શ્રી વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ કામગીરીએ પોલીસ દળની માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
….