ગુજરાતમાં ૨૧૪ સીએનજી સ્ટેશન કાર્યરત કરવા તૈયારી , ૨૦૨૦ સુધી એક હજાર સીએનજી ફિલિંગ સ્ટેશન રહેશે, મુખ્યમંત્રી દ્વારા ફાળવણી પત્રો અર્પણ કરાયા
ગુજરાતમાં ૨૧૪ સીએનજી સ્ટેશન કાર્યરત કરવા તૈયારી , ૨૦૨૦ સુધી એક હજાર સીએનજી ફિલિંગ સ્ટેશન રહેશે, મુખ્યમંત્રી દ્વારા ફાળવણી પત્રો અર્પણ કરાયા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા સીએનજીનો વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સી.એન.જી.ના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા સીએનજી ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. મુખ્યમંત્રી સીએનજી સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ સીએનજી સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતે સીએનજીના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં ૧૮૦૦ જેટલા સીએનજી સ્ટેશનમાંથી ૩૧ ટકા એકલા ગુજરાતમાં એટલે કે પપ૮ સીએનજી સ્ટેશન સ્થપાયા છે. મુખ્યમંત્રીએ નવા સીએનજી સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા- સીએનજી વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, આ નવા સીએનજી સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાતની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં સીએનજી સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલા નવા સીએનજી સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ર૦ર૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧ હજાર જેટલા સીએનજી ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે. તેમણે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના વપરાશને વેગ આપવા ઘરવપરાશની સૌર વીજ ઉત્પાદન માટે સોલાર રૂફટોપ, એનએસએમઈ એકમોને સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહન જેવા અભિનવ આયામોથી ગ્લોબલ વોર્મિગ સામેના પડકારોને પહોચી વળવા ગુજરાતની સજ્જતાની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા પંપ સંચાલકોને સીએનજી પંપ ઝડપથી કાર્યરત કરીને ગુજરાતના સીએનજી વાહનચાલકોને સરળતાએ અને ઝડપી સીએનજી ઇંધણ મળી રહે તે માટેનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું. જીએસપીસીના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ ડા. જેએન સિંઘે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થ વ્યવસ્થાના નિર્માણમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં સૌથી વધુ ગેસ કનેકશન, ગેસ વિતરણ વ્યવસ્થા ઉભી કરાઇ છે અત્યાર સુધીમાં દર વર્ષે ૬૦ જેટલા સીએનજી સ્ટેશન સ્થપાતા હતા પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીર્ઘદ્રષ્ટી અને પર્યાવરણની જાળવણી સાથે વિકાસની પરિભાષાને મૂર્તિમંત કરવા મુખ્યમંત્રીએ ૩૦૦ થી વધુ સીએનજી પંપો શરૂ કરવાની ચેલેન્જ આપી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)