મોદીના નેતૃત્વ પર શંકા: મિત્ર દેશે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી, કોવિડ, ક્રાઈમ અને આતંકનો ખતરો
ભારતમાં વધી રહેલા કોરોનાના કેસો જોતા અમેરિકાએ ભારતને લઈને ફરી એક વાર એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારત જવાથી બચો. ભારત હાલમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. જ્યાં દરરોજ 3 લાખથી વધારે કેસો આવી રહ્યા છે. ત્યારે આવા સમયે અમેરિકા સરકારે ફરી એક વાર એડવાઈઝરી જાહેર કરી છે. નાગરિકોને અપીલ કરી છે કે, ભારતની યાત્રા આ સમયે ન કરો.
બુધવારે જાહેર કરાયેલી આ એડવાઈઝરીમાં કહેવાયુ છે કે, કોરોના મહામારીના કારણે ભારતની યાત્રા ન કરો. ક્રાઈમ અને આતંકવાદને જોતા પણ આ નિર્ણય લેવાયો છે. અમેરિકાએ ચોથા તબક્કામાં હાઈ લેવલની એડવાઈઝર જાહેર કરી છે.

ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ
ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાએ સમગ્ર વિશ્વને ભયભીત કરી દીધું છે. ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અમેરિકા પણ ચિંતામાં આવી ગયું છે અને ત્યાંની સરકાર સતત નવી નવી ગાઈડલાઈન જાહેર કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરાત પ્રમાણે 4 મે બાદ ભારતથી આવતા મુસાફરોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે.
આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે પણ વ્યક્તિએ છેલ્લા 14 દિવસમાં ભારતની મુસાફરી કરી હશે તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. જો બિડેનના કહેવા પ્રમાણે અમેરિકી લોકોની ભલાઈને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ વ્યક્તિ દેશની નાગરિક નથી પરંતુ છેલ્લા 14 દિવસમાં ભારતની મુસાફરી કરીને આવી છે તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ પણ આ નિર્ણય અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં હાલ માત્ર કોરોનાના કેસ જ નથી વધી રહ્યા પરંતુ અનેક નવા વેરિએન્ટ પણ જોવા મળ્યા છે. આ અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 4 મે બાદ મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અમેરિકી નાગરિકોને છૂટ
જોકે, અમેરિકાના આ નિર્ણયમાં કેટલાક લોકોને રાહત પણ આપવામાં આવી છે. જે અમેરિકી નાગરિક પાસે ગ્રીન કાર્ડ હશે. તેમની પત્ની અને 21 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે.
દેશમાં આજે ફરી નોંધાયા રેકોર્ડબ્રેક કોરોના કેસ, મૃત્યુઆંકે પણ તમામ રેકોર્ડ તોડ્યા
દેશમાં કોરોનાનો કોહરામ જારી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બુધવારે દેશમાં કોરોનાના 412,618 નવા કેસ સામે આવ્યા છે. આ બીજી વખત છે, જ્યારે દેશમાં કોરોનાના 4 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. અગાઉ 30 એપ્રિલના રોજ દેશમાં કોરોનાના 4,02,351 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાથી થતા મૃત્યુએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો. છેલ્લા 24 કલાકમાં 3,980 લોકોએ જીવ ગુમાવ્યો. એક દિવસમાં પ્રથમ વખત આટલા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.