ગુજરાતથી આવતું વિમાન લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું,પાયલટને ૮૫ કરોડનું બિલ પકડાવવામાં આવ્યું

મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ પર ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટના કેસમાં રાજ્ય સરકારે પાયલટને ૮૫ કરોડ રૂપિયાના બિલની નોટિસ પકડાવી દીધી છે. કોરોનાની બીજી લહેરના હાહાકાર વચ્ચે આ વિમાન કેટલીક દવાઓ અને ઈન્જેક્શન લઈને ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત ગ્રસ્ત થયું હતું. રિપોર્ટ્સ મુજબ જે પાયલટ કેપ્ટન માજિદ અખ્તરને આ ૮૫ કરોડનું બિલ પકડાવવામાં આવ્યું છે તેને મહામારી સમયે પ્રશંસનીય કાર્ય બદલ કોરોના યોદ્ધા ગણાવવામાં આવ્યા હતા.
વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશ સરકારના રાજકીય વિમાન (બી-૨૦૦જીટી/વીટી એમપીક્યૂ) ના દુર્ઘટનાગ્રસ્ત થવાના કેસમાં એમપી સરકારે વિમાનના પાયલટ કેપ્ટન માજિદ અખ્તર વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. તેમને અકસ્માત માટે દોષિત ઠેરવીને શાસને ૮૫ કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ પકડાવી છે. જવાબ આવ્યા બાદ શાસન હવે તેમની પાસેથી વસૂલી અંગે ર્નિણય લેશે. અકસ્માત બાદ ડીજીસીએએ પાયલટ માજિદ અખ્તરનું લાઈસન્સ ઓગસ્ટ ૨૦૨૧માં જ સસ્પેન્ડ કરી દીધુ હતું.
આ ર્નિણય અગાઉ પાયલટને અપાયેલી નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ વિમાનના રિપેરિંગ પર અત્યાર સુધીમાં ૨૩ કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. આ રીતે સરકારને ૮૫ કરોડનું નુકસાન થયું છે. કેપ્ટન માજિદને જારી આરોપ પત્રમાં કહેવાયું હતું કે આ બેદરકારીના કારણે થઈ રહેલા નુકસાનની ભરપાઈ તમારી પાસેથી કેમ ન કરવામાં આવે?
૮૫ કરોડ રૂપિયાનું બિલ મળતા પાયલટે આરોપ લગાવ્યો કે તેને એરપોર્ટ પર લાગેલા બેરિયર અંગે સૂચિત કરવામાં નહતું આવ્યું. જેના કારણે આ દુર્ઘટના ઘટી. મીડિયા સાથે વાત કરતા પાયલટે તે વિમાનના સંચાલન પહેલા વીમો નહીં હોવાની તપાસની માગણી કરી છે. કેપ્ટન માજિદ અખ્તરે કહ્યું કે વીમો ન હોવા છતાં તે પહેલા તેમને ઉડવાની મંજૂરી આખરે કેવી રીતે અપાઈ.
અત્રે જણાવવાનું કે એમપી સરકારનું આ વિમાન કોરોના સંક્રમિતોની સારવાર માટે ગુજરાતથી રેમડેસિવિર ઈન્જેક્શન સહિત દવાઓના લગભગ ૭૧ બોક્સ લઈને ૭ મે ૨૦૨૧ના રોજ પાછુ ફરી રહ્યું હતું. ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો. વિમાન લેન્ડિંગના સમયે રનવેથી લગભગ ત્રણસો ફૂટ પહેલા લાગેલા અરેસ્ટર બેરિયરથી તે ટકરાયું હતું. જેના કારણે વિમાનની કોકપિટનો આગળનો ભાગ, પ્રાપલર બ્લેડ ક્ષતિગ્રસ્ત થયા હતા. જેના સુધારની કોઈ શક્યતા રહી નહતી.