મનોરંજન

ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ રોકવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝને રોકવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, અરજદાર મજબૂત કેસ રજૂ કરી શક્યો નથી. આ અરજી એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેણે દાવો કર્યો હતો કે, તે ગંગુબાઈનો દત્તક પુત્ર છે. તેણે કહ્યું કે, ફિલ્મમાં ગંગુબાઈનું અપમાન કરવામાં આવ્યું છે. જવાબમાં, ફિલ્મ નિર્માતાએ દલીલ કરી હતી કે ન તો અરજદાર પાસે ગંગુબાઈના દત્તક પુત્ર હોવાનો કોઈ પુરાવો હતો, ન તો તે ફિલ્મને જે નુકસાન કરી રહ્યો હતો તે સાબિત કરી શક્યો હતો. શુક્રવારે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ મુંબઈના રેડ લાઈટ એરિયા કમાથીપુરાની એક ખૂબ જ પ્રભાવશાળી મહિલાના જીવન પર આધારિત છે.
બાબુજી શાહ નામના અરજદારે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ઉપરાંત ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પુસ્તકના પ્રમોશન, પ્રકાશન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે, ફિલ્મ અને પુસ્તકમાં તેને દત્તક લેનાર મહિલાને પહેલા વેશ્યા તરીકે અને બાદમાં વેશ્યાલય ચલાવતી માફિયા ગેંગસ્ટર તરીકે વર્ણવવામાં આવી છે. આ માત્ર બદનક્ષીનો જ નહીં, અંગત જીવનમાં દખલગીરી પણ છે. અગાઉ અરજદારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે અરજદારને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ગઈ કાલે આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જેકે મહેશ્વરીની બેન્ચે ફિલ્મ નિર્માતાને ફિલ્મનું નામ બદલવાનું વિચારવાનું સૂચન કર્યું હતું. આજે નિર્માતાએ આ અંગે જવાબ આપવાનો હતો.
નિર્માતા સંજય લીલા ભણસાલી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આર્યમન સુંદરમે આજે સુનાવણીની શરૂઆતમાં ફિલ્મનું નામ બદલવામાં અસમર્થતા દર્શાવી હતી. તેણે કહ્યું કે, ફિલ્મ રિલીઝ થવામાં માત્ર ૧ દિવસ બાકી છે. છેલ્લી ક્ષણે પરિવર્તન શક્ય નથી. આ માટે તેણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં પાછા જવું પડશે. સુંદરમે એમ પણ કહ્યું કે, ફિલ્મ જેના પર આધારિત છે તે પુસ્તક ૨૦૧૧નું છે. ૧૧ વર્ષ સુધી અરજદારે પુસ્તકને પડકાર્યું ન હતું. આ ફિલ્મની જાહેરાત ૨૦૧૮માં કરવામાં આવી હતી. ત્યારથી તેનું બાંધકામ ચર્ચામાં છે. ફિલ્મનું પ્રમોશન ઘણા મહિનાઓથી ચાલી રહ્યું હતું. અરજદાર થોડા સમય પહેલા અચાનક સક્રિય થઈ ગયા છે.
સુંદરમે વધુમાં કહ્યું કે, જે વ્યક્તિએ કેસ દાખલ કર્યો તેની પાસે ગંગુબાઈના દત્તક પુત્ર હોવાના કોઈ પુરાવા નથી. અન્ય કોઈ દસ્તાવેજમાં ન તો શાળાનું કોઈ પ્રમાણપત્ર છે, ન તો રેશનકાર્ડ કે નામ છે. જાે તેમની વાત એક વખત માટે પણ સ્વીકારી લેવામાં આવે તો પણ ૧૧ વર્ષ પહેલા પ્રકાશિત થયેલા પુસ્તકને કારણે તેમની કે તેમના પરિવારનું શું થયું છે તે તેઓ કહી શકતા નથી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button