રાજકારણ

તિરુપતિની પ્રથમ આરતીને લઈને રાજકીય વિવાદ, જનપ્રતિનિધિઓને વિશેષાધિકાર આપવાના પ્રસ્તાવનો મંદિર બોર્ડે કર્યો વિરોધ

તિરુપતિ, આંધ્ર પ્રદેશ

તિરુમલામાં આવેલ વિશ્વવિખ્યાત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની પ્રથમ નિત્ય આરતીમાં સાંસદો અને ધારાસભ્યોને સામેલ કરવાની પ્રસ્તાવિત વ્યવસ્થાને લઈને વિવાદ ઊભો થયો છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નિવેદન બાદ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે આ પ્રસ્તાવ સામે કડક વિરોધ નોંધાવ્યો છે. બોર્ડનું કહેવું છે કે પ્રથમ આરતીની પરંપરા સદીઓથી ચાલી આવી છે અને તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ધાર્મિક પરંપરાઓના વિરુદ્ધ ગણાશે.

તાજેતરમાં બેંગલુરુમાં ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે પ્રથમ આરતીમાં હાજરી આપવાનો વિશેષાધિકાર માત્ર એક પ્રતિનિધિ પૂરતો મર્યાદિત રાખવાને બદલે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ન્યાયાધીશો અને સરકારનું પ્રતિનિધિત્વ કરતા અન્ય લોકોને પણ આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ માટે જરૂરી પ્રસ્તાવ લાવવામાં આવશે જેથી રાજ્યની સેવા કરતા જનપ્રતિનિધિઓને પણ ભગવાન વેંકટેશ્વરના દર્શન અને પ્રથમ આરતીમાં ભાગ લેવાની તક મળી શકે.

શિવકુમારના આ નિવેદન બાદ TTD બોર્ડના સભ્ય જી. ભાનુપ્રકાશ રેડ્ડીએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રથમ આરતીમાં હાજરી આપવાનો અધિકાર ઐતિહાસિક રીતે માત્ર મૈસુર રાજપરિવારને જ પ્રાપ્ત છે. આ કોઈ વહીવટી કે રાજકીય વિશેષાધિકાર નથી, પરંતુ મંદિરની પ્રાચીન ધાર્મિક પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ઉમેર્યું કે ધાર્મિક પરંપરાઓમાં રાજકીય નિર્ણયો આધારે ફેરફાર કરી શકાય નહીં.

રેડ્ડીએ ચેતવણી આપી હતી કે જો કર્ણાટક સરકારની માંગ સ્વીકારવામાં આવશે તો ભવિષ્યમાં તમિલનાડુ, કેરળ અને અન્ય રાજ્યો પણ આવા જ વિશેષાધિકારની માંગ કરી શકે છે. તેનાથી મંદિરની સ્થાપિત પરંપરાઓ અને વ્યવસ્થાઓ પર અસર પડી શકે છે. તેમણે કહ્યું કે તિરુપતિ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને તેને રાજકીય વિવાદોથી દૂર રાખવું જોઈએ.

તિરુપતિ મંદિરનો મૈસુર રાજપરિવાર સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે. માનવામાં આવે છે કે રાજપરિવારે મંદિરના સંરક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કારણે તેમને ભગવાન વેંકટેશ્વરની પ્રથમ નિત્ય આરતીમાં હાજરી આપવાનો વિશેષ અધિકાર મળ્યો હતો. રાજપરિવારનો કોઈ સભ્ય હંમેશા તિરુપતિમાં હાજર રહી શકતો ન હોવાથી તેમની તરફથી એક અધિકૃત પ્રતિનિધિ આ ધાર્મિક વિધિમાં ભાગ લે છે.

હાલમાં આ મુદ્દે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, ડી.કે. શિવકુમારના નિવેદન બાદ ધાર્મિક પરંપરાઓ અને સરકારી વિશેષાધિકારોને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. હવે સૌની નજર એ વાત પર છે કે સંબંધિત પક્ષો આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવે છે અને શું આ પ્રસ્તાવ પર આગળ કોઈ ઔપચારિક કાર્યવાહી કરવામાં આવે છે.

Related Articles

Back to top button