નર્મદા નદીના પાણીથી ૪ હજાર હેક્ટર જમીનમાં પાક નષ્ટ થયો , નર્મદા ડેમના ૧૦ દરવાજા ૮ મીટર ખોલ્યા, ભરૂચ પૂરથી ઉભર્યું, ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૧૭.૫૦ મીટર
તાજેતરમાં ઉપરવાસથી પાણીની આવક વધતા નર્મદા ડેમના ૨૩ દરવાજા ખાોલીને આશરે નવથી ૧૦ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. એક સાથે વધારે પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. એટલું જ નહીં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. સરદાર સરોવર નર્મદા બંધમાંથી સતત પાંચ દિવસ સુધી ૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આ પાણી નર્મદા નદીમાં વહેતા પ્રથમવાર પાણીએ કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. સૌથી વધારે નુકસાન ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે. હજારો ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. નદીના કિનારાના વિસ્તોરમાં આવેલા ખેતરોમાં ૨૦ ફૂટ સુધી પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના ધનપોર, ધમણાચા, રૂંઢ, હજરપુરા, ભુછાડ, શહેરાવ, તારસાલ સહિતના ૨૪ જેટલા ગામોની સીમોમાં પાણી ભરાતા જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઇ હતી. જિલ્લામાં નર્મદાના પાણીથી આશરે ૪,૦૦૦ હેક્ટર જમીનમાં કેળા, શેરડી, કપાસ, પપૈયા, શાકભાજી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. પાંચ દિવસની ભારે તબાહી મચાવ્યા બાદ નર્મદા બંધમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નદીના પાણી ઓસર્યા છે. જોકે, ખેતીનો નવો- જૂનો બધો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે ખેડૂતો પાસે પાણીમાં મરી ગયેલા પાકની સફાઈ કરવાના રૂપિયા નથી. આ પાણીને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આવા પીડિત ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલો સર્વે કરે અને જાતે નક્કી કરે કે એક ખડૂતને કેટલું નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને રાહત પેકેજ તેમજ પાણીમાં વહી ગયેલી ડ્રીપ લાઇન અને પાઈપ આપે તેમજ લોન માફ કરે. નોંધનીય છે કે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ બુધવારે જ કેબિનેટ બેઠક બાદ આગામી ૧૫ દિવસમાં ખેતીને થયેલા નુકસાનીનો સર્વે પૂરો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કૃષિ મંત્રીના જણાવ્યા પ્રમાણે ૩૩ ટકાથી વધારે નુકસાન થયું હશે તેમને નિયમ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી ૧૩૪.૮૦ મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલ ડેમમાં ૩,૮૭,૦૪૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમના દરવાજા ખોલીને ૧,૧૩,૩૨૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના ૧૦ દરવાજા ૦.૮ મીટર ખુલ્લા છે. નદીમાં પાણી છોડવાનું ઓછું થતાં ભરૂચ શહેર પૂરની સ્થિતિમાંથી બહાર આવી ગયું છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા ડેમની જળ સપાટી ૧૭.૫૦ ફૂટે સ્થિર થઈ છે. છેલ્લા ૧૭ કલાકની વાત કરવામાં આવે તો ૧૮ ફૂટ પાણી ઉતરી ગયું છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/