રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર ન કર્યો

આજરોજ આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઇ મોનેટરી પોલિસી જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે.આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આજે બેઠકના ર્નિણય અંગે માહિતી આપી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. એમપીસીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ ૪ ટકા પર યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સમિતિએ નીતિ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો ર્નિણય લીધો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ ૪.૨૫ ટકા રહેશે. રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર રહેશે. કેન્દ્રીય બેંકે સતત ૧૦મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે ૨૨ મે ૨૦૨૦ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૭ ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંકએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના શિડ્યુલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈની એમપીસી બેઠક આજે એટલે કે ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી જે બાદમાં ક ૮મી ફેબ્રુઆરીથી ૧૦મી ફેબ્રુઆરી સુધી મળી હતી.
આરબીઆઈ દર બે મહિને વ્યાજના દર અંગે ર્નિણય લે છે. આ કાર્ય ૬-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવે છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૪% છે જ્યારે રિવર્સ રેપો રેટ ૩.૩૫% છે. ઘણા સમયથી આરબીઆઈએ પોલિસી રેટ સમાન રાખ્યા છે. આ દર છેલ્લા ૧૫ વર્ષના સૌથી નીચા સ્તરે છે. આરબીઆઈ દ્વારા બેંકોને અપાયેલી લોન પર લેવામાં આવતા વ્યાજને રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ દ્વારા બેંકો દ્વારા જમા કરાયેલા રૂપિયા પર ચૂકવવામાં આવતા વ્યાજને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકરના સન્માનમાં ૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે એમપીસી મીટિંગનું શેડ્યૂલ ૮ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી બદલવામાં આવ્યું હતું.”